જયંતી ભાનુશાલી હત્યા કેસમાં એક માત્ર સાક્ષીની રેકી કરી તેને નુકશાન પહોંચાડવાના કાવતરામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની ગાંધીધામ કોર્ટે જામીન અરજી નામંજૂર કરી હતી.
બહુચકચારી જયંતી ભાનુશાલી હત્યા કેસના મુખ્ય સાક્ષી એવા પવન મોરેની રેકી કરી તેને નુકશાન પહોંચાડવાના કાવતરામાં સંડોવાયેલા હત્યા કેસના મુખ્ય સુત્રધાર મનાતા છબીલ પટેલના વેવાઈ રસીક સવગણભાઈ પટેલ તથા અન્ય બે આરોપીઓએ ગાંધીધામની એડીશનલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતાં કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી.
આ કેસની મળતી વિગતો મુજબ જયંતી ભાનુશાલી હત્યા કેસના એકમાત્ર સાક્ષી પવન લાલચંદ મોરેની રેકી કરી નુકશાન પહોંચાડવાના કાવતરામાં રસીક સવગણભાઈ પટેલ, પિયુષ દેવજીભાઈ વાસાણી, અને કોમેશ મગનલાલ પોકાર સામે ગુનો નોંધાયા બાદ પોલીસે અટકાયત કરી હતી અને ગાંધીધામ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યા બાદ આરોપીઓએ જામીન મેળવવા માટે અરજી કરી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ગાંધીધામના ત્રીજા એડીશનલ સેશન્સ જજ આર.જી. દેવધરાએ આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી હતી. આ કેસમાં સરકાર તરફે વકીલ એસ.જી. રાણાએ હાજર રહી દલીલો કરી હતી.