આખા દેશના લોકો ચોમાસાની રાહ જૂએ ત્યારે તેઆે ચોકકસ તારીખ યાદ રાખતા હોય છે જે તારીખ હવામાન ખાતાએ લગભગ 78 વર્ષ અગાઉ આપી હતી. પરંતુ છેલ્લાં ઘણાં વર્ષોથી ચોમાસુ આ તારીખને અનુસરતું નથી અને તેમાં વિલંબ થાય છે. તેથી હવે ચોમાસાના આગમન અને વિદાય માટે નવી તારીખો જાહેર કરવાની વિચારણા ચાલે છે.
અર્થ સાયન્સ મંત્રાલયના સચિવ એમ રાજીવને જણાવ્યું કે ચોમાસાના આગમન અને વિદાયની તારીખમાં ફેરફાર કરવા માટે સમિતિ અભ્યાસ કરી રહી છે. બે મહિનાની અંદર તે નકકી થઈ જશે અને તારીખોમાં બદલાવ કરવામાં આવશે. આવતા વર્ષથી જ તારીકો બદલાય તેવી શકયતા છે. હાલમાં જે તારીખ સ્વીકારવામાં આવી છે તે 1941માં નકકી કરવામાં આવી હતી.
રાજીવને કહ્યું કે મુંબઈના લોકો 10 જૂને ચોમાસુ બેસે તેવી અપેક્ષા રાખે છે પરંતુ વાસ્તવમાં ઘણીવાર આ તારીખે વરસાદ પડતો નથી. ચાલુ વર્ષમાં મુંબઈમાં ચોમાસુ છેક 25 જૂને પહાેંચ્યું હતું. એટલે કે તેમાં 15 દિવસનો વિલંબ થયો હતો.
આઈએમડી છેલ્લાં ચારથી પાંચ વર્ષથી ચોમાસાના આગમન અને વિદાયની તારીખમાં ફેરફાર કરવા વિચારે છે. હાલમાં કેરળમાં 1 જૂને ચોમાસુ બેસે તેવી સત્તાવાર તારીખ છે. ચોમાસાની વિદાય રાજસ્થાનથી શરૂ થાય છે અને તેની તારીખ પહેલી સપ્ટેમ્બર છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં ચોમાસાએ ત્રણ વખત એક મહિનો મોડી વિદાય લીધી છે અને એક વખત 15 દિવસ મોડેથી વિદાય થઈ છે.
આઈએમડીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ચોમાસાના આગમનની તારીખ જાહેર કરવી સરળ છે કારણ કે તેમાં ફિચર્સ સ્પષ્ટ દેખાય છે. પરંતુ ચોમાસાની વિદાયની જાહેરાત કરવી મુશ્કેલ છે. ઘણી વખત ચોમાસાના વિદાયની જાહેરાત પછી પણ વરસાદ પડતો હોય છે. દેશમાં ચોમાસાના આગમન અને વિદાય વિશે વધુ ચોકકસ તારીખો મળી શકે તો ખેતીનું આયોજન વધુ સારી રીતે થઈ શકે તેમ માનવામાં આવે છે.
ડો.રાજેન્દ્ર પ્રસાદ સેન્ટ્રલ એગ્રી યુનિ.ના ડિરેકટર (રિસર્ચ) ડો.મિથિલેસ કુમારે જણાવ્યું કે કેરળમાં ચોમાસાના આગમનમાં વિલંબ અને ઉત્તર ભારત તરફ આગળ વધવામાં મોડું થવાથી ડાંગર વાવવાના શિડયુલને અસર થઈ છે.